Wednesday, December 24 2025 | 08:27:03 AM
Breaking News

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધાની વિજેતા અમદાવાદની વિદ્યાર્થીની વિશ્વાબા એ. વાઘેલાને કરી સન્માનિત

Connect us on:

આજના ઝડપી ગતિના યુગમાં, જ્યાં સંવાદના મોટાભાગના સાધનો ડિજિટલ પ્લેટફોર્મ સુધી સીમિત થઈ ગયા છે, ત્યાં પણ પત્રલેખનની પરંપરા આજે પણ પોતાની પ્રાસંગિકતા અને ગૌરવ જાળવી રાખે છે. હાથથી લખાયેલ પત્ર મનની ઊંડાઈમાંથી નીકળેલી લાગણીઓને જીવંત સ્વરૂપે રજૂ કરે છે અને વાચકના હૃદય સાથે સીધો સંવાદ સ્થાપે છે. ઉપરોક્ત વિચાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ‘યુનિવર્સલ પોસ્ટલ યુનિયન આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા–2025’ની વિજેતા વિદ્યાર્થીનીને સન્માનિત કરતી વખતે વ્યક્ત કર્યા. આ પ્રસંગે અમદાવાદ સ્થિત એચ.બી. કાપડિયા પ્રાથમિક શાળાની ધોરણ 8ની વિદ્યાર્થીની વિશ્વાબા એ. વાઘેલાને સમગ્ર ગુજરાત પરિમંડળમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા રૂપિયા 5,000/- નો ચેક તથા પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન દ્વારા “કલ્પના કરો કે તમે સમુદ્ર છો. કોઈને પત્ર લખીને સમજાવો કે તમારું યોગ્ય સંરક્ષણ કેમ અને કેવી રીતે કરવું જોઈએ” વિષય પર આયોજિત આ આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધામાં ગુજરાત પરિમંડળના વિવિધ શાળાઓના કુલ 995 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાત પરિમંડળમાં વડોદરા પરિક્ષેત્રના પ્રાંજલ પી. અગ્રવાલે પ્રથમ સ્થાન, રાજકોટ પરિક્ષેત્રની એરફોર્સ સ્કૂલ, જામનગરની સોનલ આર. ડેરે દ્વિતીય સ્થાન અને અમદાવાદ મુખ્યાલય પરિક્ષેત્રની એચ.બી. કાપડિયા પ્રાથમિક શાળા, અમદાવાદની વિશ્વાબા એ. વાઘેલાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત આ સ્પર્ધા માત્ર બાળકોની સર્જનાત્મકતા અને લેખન ક્ષમતાને પ્રોત્સાહન આપવાનું માધ્યમ બની નથી, પરંતુ તેમના અંદર પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા વિકસાવવામાં પણ સહાયક સાબિત થઈ છે. બાળકોએ પોતાના પત્રો દ્વારા સમુદ્ર સંરક્ષણ, પર્યાવરણીય સંતુલન અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો સશક્ત સંદેશ આપ્યો છે. યુનિવર્સલ પોસ્ટલ યુનિયન તથા ભારતીય ડાક વિભાગ દ્વારા આયોજિત આ પહેલ યુવાનોને ખાસ કરીને જેન-Z ને સામાજિક અને વૈશ્વિક વિષયો પર વિચાર કરવા તથા પત્રલેખન દ્વારા પોતાની ભાવનાઓ અભિવ્યક્ત કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરો પાડે છે. આ સ્પર્ધા તેમને પોતાના વિચારોને સર્જનાત્મક, સંવેદનશીલ અને અસરકારક શબ્દોમાં રજૂ કરવાની એક સુવર્ણ તક પ્રદાન કરે છે.

અમદાવાદ જીપીઓના સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી અલ્પેશ શાહે જણાવ્યું કે ભારતીય ડાક વિભાગ દ્વારા દર વર્ષે 9 થી 15 વર્ષના બાળકો માટે ‘યુનિવર્સલ પોસ્ટલ યુનિયન આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા’નું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં રાજ્ય અથવા પરિમંડળ સ્તરે પસંદ થયેલા શ્રેષ્ઠ ત્રણ પ્રતિભાશાળી પ્રતિભાગીઓને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરસ્કાર તરીકે રૂપિયા 25,000/-, રૂપિયા 10,000/- અને રૂપિયા 5,000/-ની ઈનામ રકમ પ્રમાણપત્ર સાથે પ્રદાન કરવામાં આવે છે.

આ પ્રસંગે અમદાવાદ જીપીઓના સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી અલ્પેશ આર. શાહ, સહાયક નિદેશક શ્રી વી.એમ. વહોરા, શ્રી એમ.એમ. શેખ, શ્રી રિતુલ ગાંધી, સહાયક અધિક્ષક શ્રી જિનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ, સહાયક લેખા અધિકારી શ્રી રામસ્વરૂપ મંગાવા, નિરીક્ષિક સુશ્રી પાયલ પટેલ, યોગેન્દ્ર રાઠોડ, દિક્ષિત રામી સહિત અનેક અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

About Matribhumi Samachar

Check Also

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજસ્થાનના નાગૌરમાં ખેડૂત સંમેલનમાં ભાગ લીધો

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે રાજસ્થાનના નાગૌર જિલ્લાના મેડતા સિટીમાં આયોજિત એક વિશાળ ખેડૂત સંમેલન દરમિયાન વિવિધ યોજનાઓ હેઠળની નાણાકીય સહાય ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા, રાજસ્થાનના કૃષિ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણા, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી શ્રી અવિનાશ, મહેસૂલ રાજ્ય મંત્રી શ્રી વિજય સિંહ, ખેડૂત આયોગના અધ્યક્ષ શ્રી સી. આર. ચૌધરી, સાંસદ સુશ્રી મહિમા કુમારી અને ધારાસભ્ય શ્રી લક્ષ્મણ રામ જી કલારુ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનને સંબોધતા કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે રાજસ્થાનમાં છેલ્લા બે વર્ષમાં વિકાસનો નવો ઈતિહાસ રચાયો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં 12,600 રસ્તાઓના નિર્માણ માટે આજે ₹2,089 કરોડની રકમ બહાર પાડવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવું ભારત ઉભરી રહ્યું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્ર ગૌરવશાળી, સમૃદ્ધ, સંપન્ન, શક્તિશાળી, વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. શ્રી ચૌહાણે કહ્યું કે રાજસ્થાનમાં કૃષિ ક્ષેત્રમાં ઝડપી વિકાસ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વધુ ઉપજ આપતી, આબોહવા સામે લડત આપી શકે તેવી બીજની નવી જાતો ઝડપથી વિકસાવવામાં આવી છે. સાથોસાથ, ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. રાજ્ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ રાજ્ય સરકારે ₹6,000 ની સાથે ₹3,000 ની વધારાની રકમ પૂરી પાડી છે. ખેડૂતોને આ કુલ ₹9,000 ની સહાયથી ફાયદો થયો છે, જેણે કૃષિ ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદ કરી છે. શ્રી શિવરાજ સિંહે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજસ્થાનને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ₹29,000 કરોડ મળ્યા છે. તેમણે કહ્યું કે પાક વીમા યોજનાની ખામીઓને દૂર કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો વીમા કંપનીઓ ક્લેમ સેટલમેન્ટમાં વિલંબ કરશે, તો તેમણે ખેડૂતોના બેંક ખાતામાં સીધું 12 ટકા વ્યાજ ચૂકવવું પડશે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ ટેકાના ભાવ (MSP) નો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં MSP બમણી કરવામાં આવી છે. આ વર્ષે કેન્દ્ર સરકારે રાજસ્થાનમાંથી આશરે ₹2,680 કરોડની કિંમતના અંદાજે 3.05 લાખ મેટ્રિક ટન મગની ખરીદીને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે 5.54 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી પણ કરવામાં આવશે અને 2.65 લાખ મેટ્રિક ટન સોયાબીનની ખરીદી હાલ ચાલુ છે. તેમણે ખાતરી આપી હતી કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને વાજબી ભાવ મળે તે સુનિશ્ચિત કરશે અને MSP ખરીદીમાં કોઈ કમી આવવા દેશે નહીં. કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે નવા બનેલા ‘વિકસિત ભારત – જી રામ જી’ કાયદા વિશે પણ વાત કરી અને કહ્યું કે વિરોધ પક્ષો તેની પાયાવિહોણી ટીકા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વાસ્તવિકતા એ છે કે આ કાયદો ભારતના ગામડાઓનો કાયાકલ્પ કરશે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં એક ઉત્તમ યોજના બનાવવામાં આવી છે, જેમાં કામદારોના કલ્યાણ અને ખેડૂતોની સુખાકારી બંનેને સમાન મહત્વ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે નવા કાયદા હેઠળ રોજગારીના દિવસોની સંખ્યા 100 થી વધારીને 125 કરવામાં આવી છે. શ્રી ચૌહાણે કહ્યું કે કામદારોને ડરાવવા અને ભ્રમ ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે અગાઉના UPA શાસન દરમિયાન મનરેગા (MGNREGA) માટે ફાળવવામાં આવેલા ₹40,000 કરોડથી વધુ રકમ વણવપરાયેલી રહી હતી, જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મનરેગા હેઠળનો ખર્ચ વાર્ષિક ₹1.11 લાખ કરોડ સુધી પહોંચ્યો છે. ચાલુ વર્ષ માટે યોજના માટે સૂચિત બજેટ ફાળવણી આશરે ₹1,51,282 કરોડ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નવા કાયદા હેઠળ ગ્રામ પંચાયતોને મોટી ભૂમિકા આપવામાં આવી છે, જેના કારણે તેના નામમાં ‘વિકસિત ભારત’ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતો હવે પોતાના ગામના વિકાસની યોજનાઓ તૈયાર કરશે. આ યોજના હેઠળ ગામડાઓને ગરીબી મુક્ત અને રોજગારલક્ષી તરીકે વિકસાવવામાં આવશે. ગામના લોકો પોતે જ વિકાસનો રોડમેપ નક્કી કરશે. પાંચ વર્ષના ગાળામાં આ યોજના હેઠળ ગામ દીઠ અંદાજે ₹7.5 લાખ ખર્ચવામાં આવશે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ જળ સંરક્ષણના કામોને અગ્રતા આપવામાં આવી છે. જો કામદારોને સમયસર વેતન ન મળે તો વ્યાજ પણ ચૂકવવું પડશે તેવી મહત્વની જોગવાઈ પણ સામેલ કરવામાં આવી છે. રોજગાર સહાયક, પંચાયત સચિવ, ટેકનિકલ સહાયક અને અન્ય સ્ટાફને સમયસર પગારની ચુકવણી સુનિશ્ચિત કરવા માટે વહીવટી ખર્ચ 6 ટકાથી વધારીને 9 ટકા કરવામાં આવ્યો છે. આ હેડ હેઠળ વાર્ષિક ₹13,000 કરોડની રકમ ખર્ચવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લણણી, વાવણી અને કૃષિની વ્યસ્ત સીઝન દરમિયાન મજૂરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પણ આ યોજના તૈયાર કરવામાં આવી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે સંસદના આગામી સત્રમાં બીજ અધિનિયમ અને નકલી ખાતર તેમજ નકલી સેન્દ્રિય ખાતરના ઉપયોગને રોકવા માટેના બિલ સહિત અન્ય બે મહત્વપૂર્ણ બિલો રજૂ કરવાની યોજના છે. તેમણે એમ પણ કહ્યું કે જેઓ ખેડૂતોને છેતરશે તેમને સખત સજા કરવામાં આવશે.