નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે, પરાક્રમ દિવસ અંતર્ગત કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસે તારીખ 23 જાન્યુઆરી 2025નાં રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓનાં પોર્ટ બ્લેર ખાતે ‘જય હિંદ પદયાત્રા’નું આયોજન કરશે. નેતાજીની અદમ્ય ભાવનાને શ્રદ્ધાંજલિ આપતો આ કાર્યક્રમ ભારતનાં સ્વતંત્રતા ચળવળ અને સુભાષ ચંદ્ર બોઝના કાયમી વારસાની ઉજવણીમાં 1500 MY Bharat યુવા સ્વયંસેવકો અને યુવા નેતાઓને એક સાથે લાવશે.
આ પદયાત્રા લગભગ 5 કિલોમીટરનાં મનોહર માર્ગને આવરી લેશે. જે ફ્લેગ પોઇન્ટથી શરૂ થશે અને નેતાજી સ્ટેડિયમ ખાતે સમાપ્ત થશે, જે ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનું પ્રતીક છે. તેમાં નેતાજીનાં યોગદાનને માન આપવા અને સ્વતંત્ર અને પ્રગતિશીલ ભારત માટેનાં તેમના વિઝન વિશે જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ સામેલ થશે
કાર્યક્રમની મુખ્ય બાબતો
- યુવાનો માટે સ્પર્ધાઓ: “સુભાષ ચંદ્ર બોઝ અને સ્વતંત્રતા ચળવળ” થીમ સાથે સ્પર્ધાઓની શ્રેણીમાં ચિત્રકામ, નિબંધ લેખન, ક્વિઝ અને વક્તવ્ય સ્પર્ધાઓનો સમાવેશ થશે. જેથી યુવાનોને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન નેતાજીનાં બલિદાન અને વ્યૂહરચનાઓ સમજવામાં પ્રેરણા મળે.
- સાંસ્કૃતિક પ્રદર્શન: આ કાર્યક્રમ સમૂહ ગીતો, પરંપરાગત નૃત્યો અને સુભાષ ચંદ્ર બોઝનાં જીવન અને આદર્શોની ઉજવણી કરતા અન્ય સાંસ્કૃતિક પ્રદર્શનો સાથે શરૂ થશે.
- પ્રદર્શન અને સ્ટોલ:
નેતાજીનાં જીવન અને સ્વતંત્રતા ચળવળમાં સીમાચિહ્નોને સમર્પિત ફોટો ગેલેરી.
સ્થાનિક હસ્તકલા પ્રદર્શિત કરતા અને આંદામાન અને નિકોબાર ટાપુઓની કલાત્મકતાને પ્રોત્સાહન આપતા સ્ટોલ.
- યુવા પ્રતિક સન્માન: રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક વિકાસમાં તેમના યોગદાન બદલ અગ્રણી યુવા નેતાઓ અને સિદ્ધિઓનું સન્માન કરવામાં આવશે.
- સૈન્ય અધિકારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ: નેતાજીનાં વારસા અને ભારતનાં સંરક્ષણ દળો વચ્ચેનાં જોડાણ પર ભાર મૂકતા, સૈન્ય અધિકારીઓ અને તેમના પરિવારોને ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે.
પોર્ટ બ્લેરમાં ‘જય હિંદ’ પદયાત્રા બંધારણનાં 75 વર્ષ ઉજવવા અને ભારતનાં જીવંત સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરવા માટે આયોજિત 24 કાર્યક્રમોની શ્રેણીમાં પાંચમો ભાગ છે. આ વર્ષભરની ઉજવણીનાં ભાગ રૂપે, દેશભરમાં MY Bharat સ્વયંસેવકો દ્વારા દર મહિને આવી બે પદયાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે દેશભક્તિ અને ભારતનાં સમૃદ્ધ વારસા સાથે ગાઢ જોડાણને પ્રોત્સાહન આપે છે.
મંત્રાલય ભારતભરનાં યુવાનોને MY Bharat પોર્ટલ (www.mybharat.gov.in) પર નોંધણી કરાવીને ભાગ લેવા અને નેતાજીનાં વારસા અને સંયુક્ત અને આત્મનિર્ભર ભારત માટેનાં તેમના દ્રષ્ટીકોણને માન આપવા માટે ગૌરવની આ કૂચમાં જોડાવા આમંત્રણ આપે છે.
Matribhumi Samachar Gujarati

