Tuesday, December 30 2025 | 01:35:07 PM
Breaking News

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન આંધ્ર પ્રદેશના પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં સામેલ થયા

Connect us on:

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન આજે આંધ્ર પ્રદેશના પુટ્ટપર્થી સ્થિત શ્રી સત્ય સાંઈ હિલ વ્યૂ સ્ટેડિયમમાં શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં ભાગ લીધો.

ઉપસ્થિત જનસમૂહને સંબોધિત કરતાં, ઉપરાષ્ટ્રપતિએ શ્રી સત્ય સાંઈ બાબાને “ઈશ્વર, શાંતિ, પ્રેમ અને નિઃસ્વાર્થ સેવાના એક મહાન દૂત” ગણાવ્યા, જેમનો સંદેશ અને મિશન જાતિ, ધર્મ, વર્ગ અને રાષ્ટ્રીયતાના તમામ અવરોધોથી પરે હતું. તેમણે કહ્યું કે બાબાના માર્ગદર્શક સિદ્ધાંતો—”સૌને પ્રેમ કરો, સૌની સેવા કરો” અને “હંમેશા મદદ કરો, ક્યારેય કોઈને દુઃખ ન પહોંચાડો”—તેમણે કરેલા દરેક પ્રયાસ અને તેમણે સ્પર્શેલા દરેક જીવનને આકાર આપ્યો.

સંત-કવિ તિરુવલ્લુવરના કુરલને ટાંકીને ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે શ્રી સત્ય સાંઈ બાબાએ પોતાનું આખું જીવન માનવતાના પ્રેમ અને સેવા માટે સમર્પિત કરીને આ શાશ્વત સત્યને મૂર્ત સ્વરૂપ આપ્યું.

સત્ય, ધર્મ, શાંતિ, પ્રેમ અને અહિંસા પર આધારિત બાબાની શિક્ષાઓ પર ભાર મૂકતાં, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આ શાશ્વત મૂલ્યો એક સુમેળભર્યા અને પ્રગતિશીલ સમાજના નિર્માણ માટે આવશ્યક છે. તેમણે બાબાના એ સંદેશ પર ભાર મૂક્યો જેમાં માનવતાને કલહના સ્થાને સદ્ભાવના અને સ્વાર્થના સ્થાને ત્યાગને અપનાવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો – આ મૂલ્યો આજના અનિશ્ચિત અને સંઘર્ષગ્રસ્ત વિશ્વમાં વિશેષરૂપે પ્રાસંગિક છે.

તેમણે એ વાત પર ભાર મૂક્યો કે જાહેર જીવન પણ સત્ય, કર્તવ્ય, સહાનુભૂતિ અને નૈતિક જવાબદારીથી માર્ગદર્શિત હોવું જોઈએ – આ તે ગુણો છે જેનો શ્રી સત્ય સાંઈ બાબાએ ઘણો પ્રચાર કર્યો હતો.

શ્રી સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટના દૂરગામી પ્રભાવોનો ઉલ્લેખ કરતાં, તેમણે સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ અને સામાજિક કલ્યાણના ક્ષેત્રમાં તેના વ્યાપક પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે ટ્રસ્ટની મોબાઇલ ગ્રામીણ સ્વાસ્થ્ય સેવાઓને દૂરના વિસ્તારો માટે એક “મહત્વપૂર્ણ જીવનરેખા” ગણાવી અને વિશ્વસ્તરીય, મૂલ્ય-આધારિત, શુલ્ક-મુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે ટ્રસ્ટની શૈક્ષણિક સંસ્થાઓની પ્રશંસા કરી.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ટ્રસ્ટ પીવાના પાણીના પ્રોજેક્ટ્સ, આપત્તિ રાહત અને અનેક માનવીય સેવાઓ દ્વારા સમુદાયોનું ઉત્થાન કરતું રહે છે. તેમણે તેલુગુ ગંગા નહેરના પુનરુત્થાનમાં શ્રી સત્ય સાંઈ બાબાના મહત્વપૂર્ણ યોગદાનનો ઉલ્લેખ કર્યો, જેનાથી ચેન્નાઈને પીવાના પાણીનો પુરવઠો સુનિશ્ચિત થયો — આ એક એવી સેવા છે જેને તમિલનાડુના લોકો હંમેશા યાદ રાખશે. તેમણે કહ્યું કે આ પહેલો એ વાતના જીવંત ઉદાહરણો છે કે સેવા દ્વારા વ્યક્ત પ્રેમ કેવી રીતે સમાજમાં પરિવર્તન લાવી શકે છે.

આ શુભ અવસર પર, ઉપરાષ્ટ્રપતિએ તમામ ભક્તો અને નાગરિકોને આહ્વાન કર્યું કે તેઓ બાબાના વારસાનું સન્માન – જરૂરિયાતમંદોની મદદ કરીને તથા પરિવારો, સમુદાયો અને રાષ્ટ્રમાં શાંતિને પ્રોત્સાહન આપવા – જેવા કાર્યો દ્વારા કરે.

સમગ્ર સાંઈ સમુદાયને શુભેચ્છાઓ આપતા તેમણે સાર્વદેશિક પ્રાર્થના સાથે પોતાના સંબોધનનું સમાપન કર્યું: “સમસ્ત લોક: સુખિનો ભવન્તુ!” અને આશા વ્યક્ત કરી કે શ્રી સત્ય સાંઈ બાબાની શિક્ષાઓ માનવતાના માર્ગને પ્રકાશિત કરતી રહેશે અને આપણને યાદ અપાવતી રહેશે કે “સૌથી મોટી પૂજા સેવા છે અને સૌથી મોટું અર્પણ પ્રેમ છે.”

શતાબ્દી સમારોહ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિએ આંધ્ર પ્રદેશના પુટ્ટપર્થી સ્થિત શ્રી સત્ય સાંઈ હિલ વ્યૂ સ્ટેડિયમમાં શ્રી સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ જોઈ.

આ પ્રસંગે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી નારા ચંદ્રબાબુ નાયડુ, ત્રિપુરાના રાજ્યપાલ શ્રી એન. ઇન્દ્ર સેના રેડ્ડી, તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી એચ. રેવંત રેડ્ડી, આંધ્ર પ્રદેશ સરકારમાં માનવ સંસાધન વિકાસ, માહિતી ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ અને સંચાર તેમજ આરટીજી મંત્રી શ્રી નારા લોકેશ, તમિલનાડુ સરકારમાં મંત્રી શ્રી શેખર બાબુ, શ્રી સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટના પ્રબંધ ટ્રસ્ટી, શ્રી સત્ય સાંઈ સેવા સંગઠનના અખિલ ભારતીય અધ્યક્ષ શ્રી આર.જે. રત્નાકર, શ્રી સત્ય સાંઈ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનના કુલપતિ શ્રી નિમિષ પંડ્યા, શ્રી કે. ચક્રવર્તી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા.

About Matribhumi Samachar

Check Also

ઉપરાષ્ટ્રપતિએ પુડુચેરીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના વારસાને જાળવી રાખવા અને ભવિષ્યની પેઢીઓને આપવાના મહત્વ પર ભાર મૂક્યો

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને પુડુચેરીમાં એક નાગરિક સ્વાગત સમારોહને સંબોધિત કર્યો હતો અને …