
ડાક વિભાગ દેશના સામાજિક-આર્થિક વિકાસમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા વધુ મજબૂત બનાવતાં સતત આધુનિક ટેકનોલોજી, ડિજિટલ સોલ્યુશન્સ તથા નવીનતાઓ દ્વારા પોતાની સેવાઓનું વિસ્તરણ કરી રહ્યું છે. ‘ડાક સેવા, જન સેવા’ના વિઝન સાથે વિભાગે પરંપરાગત ડાક પ્રણાલીથી આગળ વધી હાલમાં નાણાકીય સમાવેશ, લોજિસ્ટિક્સ, ઇ-કોમર્સ સહયોગ તથા ડિજિટલ સેવાઓના ક્ષેત્રમાં એક વિશ્વસનીય સંસ્થા તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી છે. ઉપરોક્ત વિચાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે સુરત મંડળની મુલાકાત દરમિયાન વ્યક્ત કરી. આ અવસરે તેમણે નાણાકીય વર્ષના બાકી રહેલા દિવસોમાં વ્યાપક અભિયાન ચલાવી વિવિધ સેવાઓમાં ફાળવાયેલા લક્ષ્યોની સિદ્ધિ પર ખાસ ભાર મૂક્યો. સાથે જ વિવિધ સેવાઓ સાથે સામાન્ય જનતાને જોડવા, જન ફરિયાદોના ઝડપી નિરાકરણ અને ગ્રાહકો પ્રત્યે સંવેદનશીલતા રાખવા ઉપર પણ ભાર મૂક્યો. તેમણે સુરત હેડ પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ ત્યાં સ્વચ્છ, ગ્રાહક હિતલક્ષી અને સુવિધાજનક વાતાવરણ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું. ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત પર્યાવરણ સંરક્ષણનો સંદેશ ફેલાવવા માટે નાનપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે વૃક્ષારોપણ પણ કર્યું. સુરત મંડળના પ્રવર ડાક અધિક્ષક શ્રી યશ જૈને પોસ્ટમાસ્ટર જનરલનું સ્વાગત કરી સુરતમાં ડાક સેવાઓની પ્રગતિ, સિદ્ધિઓ તથા વિકાસ કાર્યો અંગે વિગતવાર માહિતી રજૂ કરી.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક વિભાગ નવીનતમ ટેકનોલોજી અપનાવી ડિજિટલ ઉપક્રમો અને આધુનિક સેવાઓ દ્વારા નાગરિકોના અનુભવને વધુ અસરકારક અને સુગમ બનાવી રહ્યું છે. નોંધપાત્ર છે કે ભારતીય ડાક સેવા અધિકારી તરીકે શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોતાની કારકિર્દીની શરૂઆત 22 જુલાઈ, 2003ના રોજ સુરત મંડળમાં પ્રવર ડાક અધિક્ષક તરીકે કરી હતી. 21 વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી સુરત આવ્યા ત્યારે તેમણે આત્મીય ભાવ વ્યક્ત કરતાં જણાવ્યું કે સુરત તેમના માટે માત્ર કાર્યસ્થળ જ નથી, પરંતુ સ્મૃતિઓ અને અનુભવો સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ કર્મભૂમિ છે. તેમણે વધુમાં જણાવ્યું કે સુરતમાં આવી પોતાના પ્રથમ કાર્યનિયુક્તિના અનુભવો સાથે ફરી જોડાવું તેમના માટે અત્યંત આનંદદાયક અને પ્રેરણાદાયક રહ્યું. તેમના એક વર્ષ અને બે મહિનાના કાર્યકાળ દરમિયાન તેમણે પ્રવર ડાક અધિક્ષક તથા નાનપુરા હેડ પોસ્ટ ઓફિસને નવા વિભાગીય મકાનમાં સ્થાનાંતરિત કરવી, સુરતમાં બિઝનેસ ડેવલપમેન્ટ માટે અલગ ઓફિસની સ્થાપના, તેમજ 24 વર્ષ બાદ ડાક ટિકિટ પ્રદર્શન જેવા અનેક મહત્વપૂર્ણ કાર્યો કર્યા હતા. આ અવસરે તેમણે વિભાગના નિવૃત્ત કર્મચારીઓ કે જેમણે તેમની સાથે કાર્ય કર્યું હતું તેઓની સાથે પણ સંવાદ કરી તેમના કુશળક્ષેમ પૂછ્યા. સ્ટાફના કર્મચારીઓ પણ તેમને મળી અત્યંત ભાવવિભોર થયા.
આ પ્રસંગે પ્રવર અધિક્ષક શ્રી યશ જૈન, ડેપ્યુટી અધિક્ષક શ્રી સંજય આર. મિસ્ત્રી, શ્રી એસ. વી. પરમાર, સુરત હેડ પોસ્ટ ઓફિસના સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી આઈ. એન. ક્રિસ્ટી, નાનપુરા હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર શ્રી સી. આઈ. ભટ્ટ, સહાયક અધિક્ષક શ્રી એમ. એમ. રાઠોડ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
Matribhumi Samachar Gujarati

