Wednesday, December 24 2025 | 03:13:19 AM
Breaking News

ભારતીય ડાક વિભાગની સેવાઓ વધુ હાઈટેક બનશે, પોસ્ટ ઓફિસોમાં IT આધુનિકીકરણ – 2.0 શરૂ કરવામાં આવ્યું – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

Connect us on:

ડાક વિભાગ તેની સેવાઓને વધુ અદ્યતન બનાવવા માટે હાઈટેક બનાવી રહ્યું છે. આ ક્રમમાં, ડાક વિભાગે IT આધુનિકીકરણ-2.0 અમલમાં મૂકવાનું શરૂ કર્યું છે. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ, શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘કેશલેસ ઇન્ડિયા’ તરફ ડાક વિભાગનું આ ‘ગ્રાહકલક્ષી’ પગલું છે, જેના દ્વારા શહેરો તેમજ દૂરના ગ્રામીણ વિસ્તારોમાં સ્થિત શાખા પોસ્ટ ઓફિસોને હાઇટેક બનાવવામાં આવી રહી છે. આ અંતર્ગત, ડાક વિભાગની તમામ વહીવટી કચેરીઓ, પોસ્ટ ઓફિસો, રેલ્વે પોસ્ટલ સર્વિસીસ APT 2.0 પોર્ટલ પર કામ કરશે. ગુજરાત પોસ્ટલ સર્કલમાં પ્રથમ તબક્કામાં, મહેસાણા, રાજકોટ અને નવસારી પોસ્ટલ ડિવિઝન અને તમામ રેલ્વે પોસ્ટલ સર્વિસીસ ડિવિઝનની પોસ્ટલ સેવાઓને 8 જુલાઈ 2025 ના રોજ APT 2.0 પોર્ટલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. 22.07.2025 થી બાકીના 23 પોસ્ટલ ડિવિઝનમાં પણ APT 2.0 પોર્ટલ પર કામ શરૂ થશે. IT 2.0 લાગુ કરતા પહેલા, ગુજરાત પોસ્ટલ સર્કલના 26,000 થી વધુ કર્મચારીઓને ખાસ તાલીમ આપવામાં આવી હતી. ઓગસ્ટ 2025 સુધીમાં, દેશની તમામ પોસ્ટ ઓફિસો IT આધુનિકીકરણ -2.0 હેઠળ કામ કરવાનું શરૂ કરશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ફોરેન પોસ્ટ ઓફિસ, અમદાવાદ અને રેલ્વે મેઇલ સર્વિસ ઓફિસમાં IT આધુનિકીકરણ 2.0 લોન્ચ કર્યું. તે જ સમયે, ગુજરાતના રાજકોટ અને મહેસાણા ડિવિઝનમાં તેના લોન્ચ પ્રસંગે, તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડાક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાતચીત પણ કરી. શ્રી યાદવે માહિતી આપી કે APT 2.0 પહેલા, ડાક વિભાગમાં તમામ પ્રકારની ડાક સેવાઓ SAP અને દર્પણ 2.0 સોફ્ટવેર દ્વારા પૂરી પાડવામાં આવતી હતી. SAP એ એક ખાનગી કંપની દ્વારા વિકસાવવામાં આવેલ સોફ્ટવેર છે, જ્યારે દર્પણ 2.0 એ ડાક વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલ એપ્લિકેશન છે. IT Modernization-2.0 હેઠળ, ટપાલ વિભાગના સેન્ટર ફોર એક્સેલન્સ ઇન પોસ્ટલ ટેકનોલોજી (CEPT), મૈસુર દ્વારા તૈયાર કરાયેલ ઓનલાઈન પોર્ટલ APT 2.0 વિવિધ સોફ્ટવેરમાં થઈ રહેલા કાર્યને જોડીને સિંગલ વિન્ડો પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેનાથી ડાક કર્મચારીઓ માટે કામ કરવાનું ખૂબ જ સરળ બનશે અને ગ્રાહકોને ઝડપી સેવા પણ મળશે. હવે ગ્રાહકો QR કોડ સ્કેન કરીને UPI આધારિત ડિજિટલ ચુકવણી કરી શકશે. APT 2.0 માં ઘણી નવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જેમાં પોસ્ટલ ડિલિવરી સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે પોસ્ટમેનના ડાક ડિલિવરી કાર્યને GPS સાથે લિંક કરવું, OTP આધારિત ડિલિવરી સિસ્ટમ શરૂ કરવી, પોસ્ટના રિટેલ અને કોન્ટ્રાક્ટેડ ગ્રાહકો માટે ડાક સેવા એપ દ્વારા કોઈપણ સુવિધા માટે સિંગલ વિન્ડો પ્લેટફોર્મ પૂરું પાડવું, તેમના માટે ઓછા દરે પિકઅપ સેવા પૂરી પાડવી, સિંગલ વિન્ડો પ્લેટફોર્મ દ્વારા બધી શાખા પોસ્ટ ઓફિસોને વધુ આધુનિક અને સરળ એપ્લિકેશન પૂરી પાડવી વિગરે શામેલ છે. ભવિષ્યમાં, ડિજીપીન (નવી પિન કોડ સિસ્ટમ) પણ તેમાં સમાવવામાં આવશે.

આ પ્રસંગે સીનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ શ્રી ચિરાગ મહેતા, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ શ્રી એસ કે વર્મા, આસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રી એમ એમ શેખ, શ્રી રિતુલ ગાંધી, શ્રી વારિસ વ્હોરા, મેનેજર શ્રી એન જી રાઠોડ, આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ પ્રેયલ શાહ, રિઝવાન શેખ, એસ એન ઘોરી, જિનેશ પટેલ, રમેશ પટેલ, રોનક શાહ, ભાવિન પ્રજાપતિ, પોસ્ટલ ઇન્સ્પેક્ટર સોનલ દેસાઇ, પાયલ પટેલ, વિજય રાઠોડ, યોગેન્દ્ર રાઠોડ, ફોરેન પોસ્ટ ઓફિસ ના પોસ્ટમાસ્ટર વિશાલ પુરોહિત, ચિરાયુ વ્યાસ, અવિનાશ અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.

About Matribhumi Samachar

Check Also

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજસ્થાનના નાગૌરમાં ખેડૂત સંમેલનમાં ભાગ લીધો

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે રાજસ્થાનના નાગૌર જિલ્લાના મેડતા સિટીમાં આયોજિત એક વિશાળ ખેડૂત સંમેલન દરમિયાન વિવિધ યોજનાઓ હેઠળની નાણાકીય સહાય ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા, રાજસ્થાનના કૃષિ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણા, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી શ્રી અવિનાશ, મહેસૂલ રાજ્ય મંત્રી શ્રી વિજય સિંહ, ખેડૂત આયોગના અધ્યક્ષ શ્રી સી. આર. ચૌધરી, સાંસદ સુશ્રી મહિમા કુમારી અને ધારાસભ્ય શ્રી લક્ષ્મણ રામ જી કલારુ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનને સંબોધતા કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે રાજસ્થાનમાં છેલ્લા બે વર્ષમાં વિકાસનો નવો ઈતિહાસ રચાયો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં 12,600 રસ્તાઓના નિર્માણ માટે આજે ₹2,089 કરોડની રકમ બહાર પાડવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવું ભારત ઉભરી રહ્યું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્ર ગૌરવશાળી, સમૃદ્ધ, સંપન્ન, શક્તિશાળી, વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. શ્રી ચૌહાણે કહ્યું કે રાજસ્થાનમાં કૃષિ ક્ષેત્રમાં ઝડપી વિકાસ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વધુ ઉપજ આપતી, આબોહવા સામે લડત આપી શકે તેવી બીજની નવી જાતો ઝડપથી વિકસાવવામાં આવી છે. સાથોસાથ, ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. રાજ્ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ રાજ્ય સરકારે ₹6,000 ની સાથે ₹3,000 ની વધારાની રકમ પૂરી પાડી છે. ખેડૂતોને આ કુલ ₹9,000 ની સહાયથી ફાયદો થયો છે, જેણે કૃષિ ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદ કરી છે. શ્રી શિવરાજ સિંહે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજસ્થાનને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ₹29,000 કરોડ મળ્યા છે. તેમણે કહ્યું કે પાક વીમા યોજનાની ખામીઓને દૂર કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો વીમા કંપનીઓ ક્લેમ સેટલમેન્ટમાં વિલંબ કરશે, તો તેમણે ખેડૂતોના બેંક ખાતામાં સીધું 12 ટકા વ્યાજ ચૂકવવું પડશે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ ટેકાના ભાવ (MSP) નો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં MSP બમણી કરવામાં આવી છે. આ વર્ષે કેન્દ્ર સરકારે રાજસ્થાનમાંથી આશરે ₹2,680 કરોડની કિંમતના અંદાજે 3.05 લાખ મેટ્રિક ટન મગની ખરીદીને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે 5.54 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી પણ કરવામાં આવશે અને 2.65 લાખ મેટ્રિક ટન સોયાબીનની ખરીદી હાલ ચાલુ છે. તેમણે ખાતરી આપી હતી કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને વાજબી ભાવ મળે તે સુનિશ્ચિત કરશે અને MSP ખરીદીમાં કોઈ કમી આવવા દેશે નહીં. કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે નવા બનેલા ‘વિકસિત ભારત – જી રામ જી’ કાયદા વિશે પણ વાત કરી અને કહ્યું કે વિરોધ પક્ષો તેની પાયાવિહોણી ટીકા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વાસ્તવિકતા એ છે કે આ કાયદો ભારતના ગામડાઓનો કાયાકલ્પ કરશે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં એક ઉત્તમ યોજના બનાવવામાં આવી છે, જેમાં કામદારોના કલ્યાણ અને ખેડૂતોની સુખાકારી બંનેને સમાન મહત્વ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે નવા કાયદા હેઠળ રોજગારીના દિવસોની સંખ્યા 100 થી વધારીને 125 કરવામાં આવી છે. શ્રી ચૌહાણે કહ્યું કે કામદારોને ડરાવવા અને ભ્રમ ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે અગાઉના UPA શાસન દરમિયાન મનરેગા (MGNREGA) માટે ફાળવવામાં આવેલા ₹40,000 કરોડથી વધુ રકમ વણવપરાયેલી રહી હતી, જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મનરેગા હેઠળનો ખર્ચ વાર્ષિક ₹1.11 લાખ કરોડ સુધી પહોંચ્યો છે. ચાલુ વર્ષ માટે યોજના માટે સૂચિત બજેટ ફાળવણી આશરે ₹1,51,282 કરોડ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નવા કાયદા હેઠળ ગ્રામ પંચાયતોને મોટી ભૂમિકા આપવામાં આવી છે, જેના કારણે તેના નામમાં ‘વિકસિત ભારત’ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતો હવે પોતાના ગામના વિકાસની યોજનાઓ તૈયાર કરશે. આ યોજના હેઠળ ગામડાઓને ગરીબી મુક્ત અને રોજગારલક્ષી તરીકે વિકસાવવામાં આવશે. ગામના લોકો પોતે જ વિકાસનો રોડમેપ નક્કી કરશે. પાંચ વર્ષના ગાળામાં આ યોજના હેઠળ ગામ દીઠ અંદાજે ₹7.5 લાખ ખર્ચવામાં આવશે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ જળ સંરક્ષણના કામોને અગ્રતા આપવામાં આવી છે. જો કામદારોને સમયસર વેતન ન મળે તો વ્યાજ પણ ચૂકવવું પડશે તેવી મહત્વની જોગવાઈ પણ સામેલ કરવામાં આવી છે. રોજગાર સહાયક, પંચાયત સચિવ, ટેકનિકલ સહાયક અને અન્ય સ્ટાફને સમયસર પગારની ચુકવણી સુનિશ્ચિત કરવા માટે વહીવટી ખર્ચ 6 ટકાથી વધારીને 9 ટકા કરવામાં આવ્યો છે. આ હેડ હેઠળ વાર્ષિક ₹13,000 કરોડની રકમ ખર્ચવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લણણી, વાવણી અને કૃષિની વ્યસ્ત સીઝન દરમિયાન મજૂરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પણ આ યોજના તૈયાર કરવામાં આવી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે સંસદના આગામી સત્રમાં બીજ અધિનિયમ અને નકલી ખાતર તેમજ નકલી સેન્દ્રિય ખાતરના ઉપયોગને રોકવા માટેના બિલ સહિત અન્ય બે મહત્વપૂર્ણ બિલો રજૂ કરવાની યોજના છે. તેમણે એમ પણ કહ્યું કે જેઓ ખેડૂતોને છેતરશે તેમને સખત સજા કરવામાં આવશે.