Friday, March 13 2026 | 10:12:59 PM
Breaking News

ડાક સેવા, જન સેવા’ હેઠળ ડાક સેવાઓ છેવાડા સુધી પહોંચાડવા માટે પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા શરૂ કરવામાં આવ્યું ‘પોસ્ટલ વોરિયર અભિયાન

Connect us on:

ઇન્ડિયા પોસ્ટ આધુનિક ટેકનોલોજી અપનાવીને ડિજિટલ પહેલ અને આધુનિક સેવાઓ દ્વારા નાગરિકોના અનુભવને સતત સુધારી રહી છે. જનસેવા ને કેન્દ્રમાં રાખીને વિભાગે પરંપરાગત ટપાલ સેવાઓની આગળ વધીને આજે નાણાકીય સમાવેશ, લોજિસ્ટિક્સ, ઇ-કોમર્સ સહાય અને ડિજિટલ સેવાઓના ક્ષેત્રોમાં વિશ્વસનીય સંસ્થા તરીકે પોતાનું સ્થાન સ્થાપિત કર્યું છે. આ સુધારા સાથે, પોસ્ટ ઓફિસના કાઉન્ટર અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસોમાં પોસ્ટલ વ્યવહારો હવે પહેલાં કરતાં ઘણાં વધુ ઝડપી અને કાર્યક્ષમ બની ગયા છે, જે માનનીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાના સૂત્ર “ડાક સેવા, જન સેવા” ને સાચા અર્થમાં સાકાર કરે છે.

આ ટેકનોલોજીકલ પ્રગતિને આગળ વધારતા, ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે સપ્ટેમ્બર 2025માં બ્રાન્ચ પોસ્ટ ઓફિસ સ્તરે એક નવીન અભિયાન “પોસ્ટલ વોરિયર” શરૂ કર્યું, જેને ફેબ્રુઆરી 2026થી સબ પોસ્ટ ઓફિસ અને હેડ પોસ્ટ ઓફિસ સુધી વિસ્તૃત કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વધુ નાગરિકોને પોસ્ટલ નેટવર્ક સાથે જોડવાનો તેમજ ગ્રામ્ય વિસ્તારો અને અંતિમ સ્તર સુધી વ્યાપારિક તકોનો લાભ લઈ નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલ દ્વારા ઉત્તર ગુજરાત ક્ષેત્ર ની તમામ બ્રાન્ચ પોસ્ટ ઓફિસોને સક્રિય બનાવી સેવાઓનો વ્યાપ વધારવાનો હેતુ છે, જે અંતે પોસ્ટ વિભાગને આવકમાં વૃદ્ધિ કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. તાજેતરમાં “બ્યુરોક્રેટ્સ ઓફ ઇન્ડિયા – ટોપ 25 ચેન્જમેકર્સ ઓફ 2025”ની યાદીમાં સ્થાન પામેલા શ્રી કૃષ્ણ કુમાર યાદવ ટેકનોલોજી અને નાગરિક કેન્દ્રિત પહેલો દ્વારા અંતિમ સ્તર સુધી સુશાસનને આધુનિક બનાવવાના પ્રયત્નો માટે જાણીતા છે.  સમાવેશી શાસનને મજબૂત બનાવવાથી લઈને જાહેર સેવા પ્રદાનમાં ટેકનોલોજીના અસરકારક અને નવીન ઉપયોગ સુધી, નાગરિકોના જીવનમાં સકારાત્મક અને સ્થાયી પરિવર્તન સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ અભિયાન હેઠળ પોસ્ટલ વોરિયરની ચાર કેટેગરી નક્કી કરવામાં આવી છે – સિલ્વર વોરિયર, ગોલ્ડ વોરિયર, ડાયમંડ વોરિયર અને પ્લેટિનમ વોરિયર. જે બ્રાંચ પોસ્ટ ઓફિસો ઓછામાં ઓછા 100 પોઈન્ટ પ્રાપ્ત કરે છે તેમને સિલ્વર વોરિયર, 250 પોઈન્ટ મેળવનારને ગોલ્ડ વોરિયર, 500 પોઈન્ટ મેળવનારને ડાયમંડ વોરિયર અને 1000 પોઈન્ટ મેળવનારને પ્લેટિનમ વોરિયર તરીકે માન્યતા આપવામાં આવે છે. જેટલા વધુ નાગરિકોને પોસ્ટલ સેવાઓ સાથે જોડવામાં આવશે, એટલી વધુ ઉચ્ચ સ્થિતિ પોસ્ટલ વોરિયર શ્રેણીમાં પ્રાપ્ત થશે. બ્રાંચ પોસ્ટ ઓફિસોની કામગીરી ચાર મુખ્ય વ્યવસાયિક માપદંડોના આધારે મૂલ્યાંકિત કરવામાં આવે છે, જેમાં પોસ્ટ ઓફિસ બચત બેંક ખાતા ખોલવા, ડાક જીવન વીમા /ગ્રામીણ  ડાક જીવન વીમા ની પ્રારંભિક પ્રીમિયમ વસૂલાત, સ્પીડ પોસ્ટ અને પાર્સલ બુકિંગ તેમજ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વ્યવસાયનો સમાવેશ થાય છે. આ અભિયાન હેઠળ દરેક નવી વ્યવસાયિક પ્રવૃત્તિને પોઈન્ટ આપવામાં આવે છે. એક પોસ્ટ ઓફિસ બચત બેંક ખાતું ખોલવાથી 1 પોઈન્ટ, ₹600ના ડાક જીવન વીમા /ગ્રામીણ  ડાક જીવન વીમા ના પ્રારંભિક પ્રીમિયમ પર 1 પોઈન્ટ, એક સ્પીડ પોસ્ટ અથવા પાર્સલ બુકિંગ પર 1 પોઈન્ટ અને એક આઈપીપીબી વ્યવસાયિક પ્રવૃત્તિ પર પણ 1 પોઈન્ટ આપવામાં આવે છે. આ માપદંડો મુજબ નિર્ધારિત ન્યૂનતમ વ્યવસાય હાંસલ કરનાર બ્રાંચ પોસ્ટ ઓફિસોને પોસ્ટલ વોરિયર તરીકે જાહેર કરવામાં આવશે.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદમાં કુલ 06 પોસ્ટલ ડિવિઝન – અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા તેમજ 01 રેલ્વે મેલ સર્વિસ ‘એએમ’ ડિવિઝનનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રમાં કુલ 2,258 પોસ્ટ ઓફિસો કાર્યરત છે, જેમાં 09 મુખ્ય ડાક ઘર, 344 ઉપ ડાકઘર અને 1905 બ્રાંચ પોસ્ટ ઓફિસોનો સમાવેશ થાય છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે તમામ મંડળ પ્રમુખ, ઉપ મંડળ પ્રમુખ અને બ્રાંચ પોસ્ટમાસ્ટરોના સહયોગથી ઉત્તર ગુજરાત પરિક્ષેત્રની તમામ 1905 બ્રાંચ પોસ્ટ ઓફિસોને સફળતાપૂર્વક સક્રિય બનાવી અને ઓછામાં ઓછા 100 બિઝનેસ પોઈન્ટ હાંસલ કરીને ‘સિલ્વર પોસ્ટલ વોરિયર’ તરીકે જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, માર્ચ મહિનાના મધ્ય સુધીમાં 1000થી વધુ બ્રાંચ પોસ્ટ ઓફિસો ‘ગોલ્ડ વોરિયર’, 125 બ્રાંચ પોસ્ટ ઓફિસો ‘ડાયમંડ વોરિયર’ અને 20 બ્રાંચ પોસ્ટ ઓફિસો ‘પ્લેટિનમ વોરિયર’ તરીકે ક્વોલિફાય થઈ છે. વધુમાં, ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના તમામ ડિવિઝનોને ‘સિલ્વર વોરિયર’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે અમદાવાદ અને પાટણ ડિવિઝને ‘ગોલ્ડ વોરિયર’ શ્રેણી પણ હાંસલ કરી છે.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન અત્યાર સુધીમાં કુલ ₹206 કરોડની આવક હાંસલ કરી છે. પ્રથમ વખત ફેબ્રુઆરી 2026 સુધીમાં પોસ્ટ ઓફિસ બચત બેંકની આવક ₹100 કરોડથી વધુ થઈ છે, જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે અને નાણાકીય સમાવેશને પ્રોત્સાહિત કરવામાં ઇન્ડિયા પોસ્ટની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે. ફેબ્રુઆરી 2026 સુધીમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર માં ગયા વર્ષના સમકક્ષ સમયગાળાની સરખામણીએ કુલ આવકમાં 21% નો વધારો નોંધાવ્યો છે. હાલમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં 43 લાખ પોસ્ટ ઓફિસ બચત બેંક ખાતા અને 8.90 લાખ આઈપીપીબી ખાતા કાર્યરત છે. આ નાણાકીય વર્ષ દરમિયાન 8.25 લાખથી વધુ નવા પોસ્ટ ઓફિસ બચત બેંક ખાતા તથા 1.5 લાખ આઈપીપીબી ખાતા ખોલવામાં આવ્યા છે. પીએલઆઈ/આરપીએલઆઈ હેઠળ કુલ ₹272 કરોડનું પ્રીમિયમ કલેક્શન કરવામાં આવ્યું છે. ઉપરાંત 1.85 કરોડ સ્પીડ પોસ્ટ અને પાર્સલ બુકિંગ નોંધાયા છે. પોસ્ટ ઓફિસો મારફતે અંદાજે 3.15 લાખ લોકોએ આધાર સેવાઓનો લાભ લીધો, જ્યારે 96,000થી વધુ લોકોને આઈપીપીબી સેવાઓ દ્વારા લાભ મળ્યો છે. પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો મારફતે અંદાજે 56,000 પાસપોર્ટ અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવી છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી 1100 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’, 713 ગામોને ‘સંપૂર્ણ બીમા ગ્રામ’ અને 350 ગામોને ‘સંપૂર્ણ બચત ગ્રામ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ઇન્ડિયા પોસ્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ડિજિટલ ઇન્ડિયા, નાણાકીય સમાવેશ અને કેશલેસ અર્થતંત્રના પ્રોત્સાહન જેવી રાષ્ટ્રીય પહેલોને સમર્થન આપતા, ઇન્ડિયા પોસ્ટમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી (એપીટી) 2.0ના અમલીકરણનો હેતુ પોસ્ટલ સેવાઓને આધુનિક બનાવવાનો તેમજ કાર્યક્ષમતા, પારદર્શિતા અને સેવા પહોંચને અંતિમ સ્તર સુધી મજબૂત બનાવવાનો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે “ડાક ચૌપાલ” જેવી પહેલો દ્વારા સરકારની મહત્વપૂર્ણ અને નાગરિક કેન્દ્રિત સેવાઓ સમાજના અંતિમ સ્તર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

About Matribhumi Samachar

Check Also

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ‘કવાંટ ગેર મેળા’ પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ જારી કર્યું

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ “કવાંટ ગેર મેળા”ની સાંસ્કૃતિક મહત્તાને માન આપી 05 માર્ચ, 2026ના રોજ …