Tuesday, September 01 2026 | 04:06:46 AM
Breaking News

‘પોસ્ટલ બિઝનેસ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન’ મહામેળાનો ગાંધીનગર નગરપાલિકા સભાખંડમાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કર્યો શુભારંભ

Connect us on:

નાણાકીય સમાવેશ, ડિજિટલ નવીનતા અને ઈ-કોમર્સ લોજિસ્ટિક્સથી લઈને ઈન્ડિયા પોસ્ટ દૂરના વિસ્તારો સુધી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

ઈન્ડિયા પોસ્ટ પોતાની દૂરંદેશી કાર્યશૈલી અને ‘ડાક સેવા-જન સેવા’ના મૂળમંત્ર સાથે દેશના ખૂણે-ખૂણે વિશ્વસનીય અને સુલભ સેવાઓ પહોંચાડવામાં સતત અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય, દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં પોસ્ટ વિભાગે પોતાની મજબૂત ઉપસ્થિતિ દ્વારા સામાન્ય જનતાનો વિશ્વાસ પ્રાપ્ત કરીને પોતાને દેશની એક સશક્ત અને પ્રભાવશાળી જનસેવા સંસ્થા તરીકે સ્થાપિત કરી છે. ભારત સરકારની વિવિધ અગ્રણી યોજનાઓનો અમલ પોસ્ટ ઓફિસોના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે. ઉક્ત ઉદ્ગાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે તા. 31 ઓગસ્ટ 2026ના રોજ રાજધાની ગાંધીનગર સ્થિત ગાંધીનગર નગરપાલિકા સભાખંડમાં “પોસ્ટલ બિઝનેસ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન”નો મુખ્ય અતિથિ તરીકે શુભારંભ કરતાં વ્યક્ત કર્યા. આ પ્રસંગે તેમણે સુકન્યા સમૃદ્ધિ યોજના, બચત યોજનાઓ, પોસ્ટલ જીવન વીમા તથા ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના લાભાર્થીઓને પાસબુક અને પોલિસી બોન્ડ અર્પણ કર્યા તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોસ્ટલ કર્મચારીઓને સન્માનિત કરીને તેમનો ઉત્સાહ વધાર્યો. ગાંધીનગર મંડળના પ્રવર અધિક્ષક શ્રી શુભમ ડોંગરદિવેએ ઉપસ્થિત મહેમાનો તેમજ ગ્રાહકોનું સ્વાગત કર્યું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, પોસ્ટ વિભાગ નવી ઊર્જા અને નવા ઉદ્દેશ્ય સાથે સતત આગળ વધી રહ્યો છે. ભારતના સંચાર અને લોજિસ્ટિક્સ તંત્રને આધુનિક બનાવવા, નવીનતાને પ્રોત્સાહન આપવા તથા નાગરિકકેન્દ્રિત સેવા વિતરણને વધુ સુદૃઢ બનાવવા માટે પોસ્ટ વિભાગ પ્રતિબદ્ધ છે. પોસ્ટ વિભાગે નાણાકીય સમાવેશને વધુ વ્યાપક બનાવવા, ડિજિટલ કનેક્ટિવિટીમાં સતત સુધારો કરવા, ગ્રામ્ય લોજિસ્ટિક્સનો વિસ્તાર કરવા તેમજ નાગરિકોની ભાગીદારીને સશક્ત બનાવતી વિવિધ પહેલો દ્વારા ભારતના અંતિમ છેડા સુધીના ડિલિવરી નેટવર્કને વધુ મજબૂત બનાવ્યું છે. પોસ્ટ વિભાગે એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે સાથે ભાગીદારી કરીને અંતિમ છેડા સુધી પાર્સલ ડિલિવરી સેવાઓ પહોંચાડવા માટે ઈ-કોમર્સ લોજિસ્ટિક્સ તંત્રને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પોસ્ટ વિભાગ નવીનતમ ટેક્નોલોજી અપનાવીને ડિજિટલ પહેલો અને આધુનિક સેવાઓના માધ્યમથી નાગરિકોના અનુભવને સતત વધુ સારો બનાવી રહ્યું છે. કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાજીના વિઝનથી પ્રેરિત થઈને યુવાનો માટે આઈઆઈટી ગાંધીનગર ખાતે એન-જેન પોસ્ટ ઓફિસ શરૂ કરવામાં આવી છે. શહેરી વિસ્તારોની પોસ્ટ ઓફિસની સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી બ્રાંચ પોસ્ટ ઓફિસો દ્વારા પણ ડિજિટલ પેમેન્ટ જેવી આધુનિક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેના કારણે નાગરિકોને ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક સેવાઓનો લાભ મળી રહ્યો છે. ગાંધીનગરમાં નાણાકીય સમાવેશ અંતર્ગત અત્યાર સુધીમાં 403થી વધુ ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’, 133થી વધુ ગામોને ‘સંપૂર્ણ બચત ગ્રામ’ તથા 130થી વધુ ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

ગાંધીનગર મંડળના પ્રવર અધિક્ષક શ્રી શુભમ ડોંગરદિવેએ જણાવ્યું કે આ મહામેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાને પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલી તમામ કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃત કરવાનો અને વધુમાં વધુ લોકોને આ યોજનાઓ સાથે જોડવાનો છે. હાલમાં ગાંધીનગર મંડળમાં નાણાકીય સમાવેશ અંતર્ગત કુલ 7.67 લાખ બચત ખાતાઓ, 93 હજારથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતાઓ તથા 94 હજારથી વધુ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ખાતાઓ કાર્યરત છે. ગાંધીનગર હેડ પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્રના માધ્યમથી ચાલુ નાણાકીય વર્ષમાં 8 હજારથી વધુ લોકોએ પાસપોર્ટ બનાવડાવ્યો છે. જ્યારે 32 હજારથી વધુ લોકોએ પોસ્ટ ઓફિસ દ્વારા આધાર સેવાઓ મેળવી છે. તેમજ 31 હજાર લોકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા સીએએલસી અંતર્ગત આ સેવાનો લાભ લીધો છે. આધાર સેવાઓની સતત વધતી માંગ અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર હેડ પોસ્ટ ઓફિસ અને કલોલ હેડ પોસ્ટ ઓફિસ ખાતે આધાર સેવાઓ સવારે 08:00 વાગ્યાથી સાંજે 08:00 વાગ્યા સુધી કાર્યરત રાખવામાં આવી રહી છે. ઈન્ટરનેશનલ ટ્રેક્ડ પેકેટ સર્વિસ હવે 135 દેશોમાં ઉપલબ્ધ છે, જ્યારે અગાઉ આ સુવિધા માત્ર 41 દેશો સુધી મર્યાદિત હતી. મુખ્ય દેશો માટે મહત્તમ વજન મર્યાદા વધારીને 5 કિલોગ્રામ કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ગાંધીનગર મંડળ દ્વારા આશરે 5,000 આંતરરાષ્ટ્રીય મેઈલનું બુકિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી 3,500થી વધુ બુકિંગ છેલ્લા બે મહિનામાં કરવામાં આવ્યા છે. રક્ષાબંધન દરમિયાન બહેનોએ પણ આ સુવિધાનો લાભ લઈને વિદેશમાં રહેતા પોતાના ભાઈઓને રાખડીઓ મોકલી હતી. તાજેતરમાં પોસ્ટ વિભાગ અને ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ વચ્ચે જંતુનાશક દવાઓ, બીજ તથા ખાતરના નમૂનાઓનું સ્પીડ પોસ્ટ દ્વારા બુકિંગ અને ડિલિવરી કરવા અંગે કરાર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા ઉત્તર ગુજરાતમાં ‘આત્મનિર્ભર બ્રાંચ પોસ્ટ ઓફિસ’ અંતર્ગત શરૂ કરવામાં આવેલા ‘પોસ્ટલ વોરિયર્સ’ અભિયાન હેઠળ ગાંધીનગરમાં અત્યાર સુધીમાં 262 બ્રાંચ પોસ્ટ ઓફિસોને ‘સિલ્વર પોસ્ટલ વોરિયર’, 08ને ‘ગોલ્ડ પોસ્ટલ વોરિયર’ તથા 01ને ‘પ્લેટિનમ પોસ્ટલ વોરિયર’ તરીકે જાહેર કરવામાં આવી છે. આ નોંધપાત્ર સિદ્ધિ બદલ સંબંધિત બ્રાંચ પોસ્ટમાસ્ટરોનું સન્માન પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે પ્રવર અધિક્ષક શ્રી શુભમ ડોંગરદિવે, ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ શ્રી સંદીપ કુશવાહ, આઈપીપીબી મેનેજર શ્રી નિરંજન ભક્તા, સહાયક અધિક્ષક શ્રી એન. જી. રાઠોડ, શ્રી હેમંત કંતાર, શ્રી દીપક મોરે, શ્રી મનોહર કુમાર, શ્રી રોનક શાહ, નિરીક્ષક સુશ્રી સોનલ દેસાઈ, શ્રી વિજય રાઠોડ, શ્રી એચ. એમ. પરમાર, ભાવિન પ્રજાપતિ, ગાંધીનગર પોસ્ટમાસ્ટર શ્રી ડી. એમ. રાઠોડ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક પોસ્ટલ કર્મચારીઓ તેમજ ઉપસ્થિત જનતાએ ભાગ લીધો હતો.

About Matribhumi Samachar

Check Also

આરણમુલા ઉત્થ્રિટ્ટાથી વલ્લમકાલી: ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને પંબા નદીના કાંઠેથી કેરળમની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને બિરદાવી

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને પંબા નદીના પવિત્ર તટ પર આયોજિત વિશ્વપ્રસિદ્ધ આરણમુલા ઉત્થ્રિટ્ટાથી …