Monday, December 08 2025 | 12:09:48 AM
Breaking News

Tag Archives: PM Kisan Samman Nidhi Yojana

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશથી પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 20મો હપ્તો રિલીઝ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના કાશી ખાતેથી પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૦મો હપ્તો રિલીઝ કર્યો હતો. જેમાં ગુજરાતના 52.16 લાખથી વધુ કિસાન પરિવારોને રૂ. 1118 કરોડથી વધુની સહાય 20માં હપ્તા અન્વયે ડી.બી.ટી.થી સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આ સંદર્ભમાં રાજ્યકક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રી અને રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ સહિત રાજ્યભરના 3 લાખથી વધુ ખેડૂતોએ વિવિધ સ્થળોએથી પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જનસેવાની ભાવના અને સાચી નિયતથી ખેડૂતહિત અને જનહિતના કામો કેટલી ઝડપથી થાય છે, એ પ્રધાનમંત્રીશ્રીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. તેમણે GYAN એટલે કે ગરીબ, અન્નદાતા, યુવા અને નારીશક્તિને વિકસિત ભારતના આધાર સ્તંભ ગણાવીને અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને પ્રાથમિકતા આપીને તેમને સહાયરૂપ થવાના શુભ આશય સાથે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અમલમાં મૂકી હતી. જે આજે વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના બની છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ યોજનાની ન્યાયી અને પારદર્શી પદ્ધતિના પરિણામે દેશના નાના અને સીમાંત ખેડૂતો સુધી પણ આ યોજનાનો 100 ટકા લાભ પહોંચી રહ્યો છે. એટલા માટે જ, આજે ખેડૂતોનો સરકાર પ્રત્યે વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂત પરિવારોના બેંક ખાતામાં 19 હપ્તામાં કુલ રૂ. 3.69 લાખ કરોડ જમા થયા છે. પ્રધાનમંત્રીશ્રીના હસ્તે 20માં હપ્તા હેઠળ દેશના 9.70 કરોડથી વધુ ખેડૂતોને રૂ.20500 કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ છેલ્લા એક દાયકામાં ખેડૂતો માટે બીજથી બજાર સુધીની વ્યાપક સુલભતા ઊભી થઈ છે. સાથે જ, કૃષિ વિભાગના બજેટમાં પણ પાંચ ગણી વૃદ્ધિ થઈ છે. ગત 11 વર્ષમાં 25 કરોડ સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવા ઉપરાંત આધુનિક ખેતી અને કૃષિ યાંત્રિકીકરણને વેગ મળ્યો છે. ખેડૂતો વતી પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, દેશમાં ઓછી ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લામાં ઉત્પાદકતા વધારવા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા નવી “પીએમ ધનધાન્ય કૃષિ યોજના”ને તાજેતરમાં જ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત “પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના”ને પ્રધાનમંત્રીશ્રીએ મંજૂરી આપી છે. વિકસિત ગુજરાત માટે વિકસિત ખેતીના નિર્માણ માટે ખેડૂતોને આહ્વાન કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ જેવી પરંપરાગત પદ્ધતિઓને મહત્વ આપ્યું છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અનેક સહાયલક્ષી યોજનાઓ ઉપરાંત ગુજરાતના હાલોલમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી કાર્યરત કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે રાજકોટ ખાતેથી ખેડૂતોને પ્રેરક ઉદબોધન કર્યું હતું. જ્યારે, મુખ્યમંત્રીશ્રીના હસ્તે કૃષિ હિતલક્ષી યોજનાના વિવિધ ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં ચૂકવાયેલા 19 હપ્તા પેટે ગુજરાતના લાભાર્થી ખેડૂતોના ખાતામાં સમગ્રતયા કુલ રૂ. 11993 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ સૌનું શાબ્દિક સ્વાગત કરીને સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, આજે પ્રધાનમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઇ રહેલા આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનું જીવંત પ્રસારણ રાજ્યના 7000થી વધુ સ્થળ ખાતેથી ૩ લાખથી વધુ ખેડૂતો નિહાળી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સહાયરૂપ થવાના શુભ આશય સાથે પ્રધાનમંત્રીશ્રીએ 100 ટકા કેન્દ્ર સહાયિત પીએમ કિસાન સમ્માન નિધિ યોજના વર્ષ 2019થી અમલમાં મૂકી હતી. આ યોજના અંતર્ગત ખેડૂત પરિવારોને પ્રતિવર્ષ કુલ રૂ. 6000ની સહાય ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે વાવેતરથી લઈને વેચાણ સુધીના તમામ તબક્કે સહાયરૂપ થવા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જેનો મહત્તમ ખેડૂતો સુધી લાભ પહોંચાડવા બજેટમાં માતબર જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાઓનો લાભ લેવા રાજ્યના 11 લાખથી વધુ ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ નોંધાવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. આ સમારોહમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિજય ખરાડી, ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ગુજરાતના ખેતી નિયામકશ્રી સહિત કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Read More »