
‘દીન દયાલ સ્પર્શ યોજના’ હેઠળ મેધાવી વિદ્યાર્થીઓને ટપાલ વિભાગ દ્વારા વાર્ષિક રૂ. 6,000ની શિષ્યવૃત્તિ; અરજી કરવાની અંતિમ તારીખ 10 સપ્ટેમ્બર – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
ડાક-ટિકિટ સંગ્રહ (ફિલેટલી)ને શિક્ષણ પ્રણાલીની મુખ્યધારામાં લાવવા અને તેને પ્રોત્સાહન આપવાના હેતુથી ડાક વિભાગ દ્વારા “દીન દયાલ સ્પર્શ યોજના” (સ્કોલરશિપ ફોર પ્રમોશન ઓફ એપ્ટિટ્યુડ એન્ડ રિસર્ચ ઇન સ્ટેમ્પ્સ એઝ અ હોબી) હેઠળ જેન આલ્ફા વિધાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ અંગે માહિતી આપતાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે વર્ષ 2017થી ધોરણ 6થી 9ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલી આ યોજનામાં સારા શૈક્ષણિક રેકોર્ડ ધરાવતા અને શોખ તરીકે ફિલેટલી અપનાવનાર મેધાવી વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 6,000ની શિષ્યવૃત્તિ આપવાની જોગવાઈ છે. આ શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાભાર્થીઓની પસંદગી માટે યોજાનારી પરીક્ષામાં ભાગ લેવા માટે નિર્ધારિત ફોર્મેટમાં અરજી કરવાની અંતિમ તારીખ 10 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ સમગ્ર ભારતના દરેક પોસ્ટલ સર્કલ કાર્યાલય દ્વારા ધોરણ 6, 7, 8 અને 9ના 10-10 વિદ્યાર્થીઓને, એટલે કે મહત્તમ 40 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. શિષ્યવૃત્તિની રકમ દર મહિને રૂ. 500, એટલે કે વાર્ષિક રૂ. 6,000 રહેશે, જે ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવશે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વધુમાં જણાવ્યું હતું કે શિષ્યવૃત્તિ માટે પાત્ર બનવા માટે વિદ્યાર્થી ભારતની માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ. સંબંધિત શાળામાં ફિલેટલી ક્લબ હોવો જોઈએ અને ઉમેદવાર તે ક્લબનો સભ્ય હોવો જોઈએ. જો શાળામાં ફિલેટલી ક્લબ સ્થાપિત ન હોય, તો એવી શાળાના તે વિદ્યાર્થીના નામ પર પણ વિચારણા કરી શકાય છે, જેના પોતાના નામે ફિલેટલી ડિપોઝિટ ખાતું સંચાલિત થતું હોય. ફિલેટલી ડિપોઝિટ ખાતું પોસ્ટ ઓફિસમાં ઓછામાં ઓછા રૂ. 200ની રકમથી ખોલી શકાય છે. શિષ્યવૃત્તિ માટે ઉમેદવારોની પસંદગી કરતી વખતે એ બાબતનું ધ્યાન રાખવામાં આવશે કે ઉમેદવારે અગાઉની અંતિમ પરીક્ષામાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ અથવા સમકક્ષ ગ્રેડ/ગ્રેડ પોઇન્ટ મેળવ્યા હોય. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના ઉમેદવારોને 5 ટકાની છૂટછાટ આપવામાં આવશે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે શિષ્યવૃત્તિ માટે પ્રથમ તબક્કામાં મંડળીય સ્તરે લેખિત ક્વિઝનું આયોજન 27 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે, જેમાં 50 બહુવિકલ્પીય પ્રશ્નો પૂછવામાં આવશે. તેમાં સફળ થનાર વિદ્યાર્થીઓએ અંતિમ પસંદગી માટે નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં 16 ડાક-ટિકિટો સાથે મહત્તમ 500 શબ્દોમાં ફિલેટલી પ્રોજેક્ટ જમા કરાવવાનો રહેશે. આ માટે પરિમંડળ સ્તરે ડાક અધિકારીઓ અને પ્રતિષ્ઠિત ફિલેટલિસ્ટોની એક સમિતિ પણ રચવામાં આવશે. અંતિમ પરિણામ 01 ડિસેમ્બર, 2026ના રોજ જાહેર કરવામાં આવશે. પસંદ થયેલા વિદ્યાર્થીઓએ પોસ્ટ ઓફિસ અથવા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં પોતાના માતા-પિતા સાથે સંયુક્ત ખાતું ખોલાવવું પડશે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે આ શિષ્યવૃત્તિનો હેતુ જેન આલ્ફા પેઢી ના બાળકોમાં નાની ઉંમરથી જ ફિલેટલીના શોખને પ્રોત્સાહન આપવાનો છે, જેથી આ રસપ્રદ પ્રવૃત્તિ તેમને આનંદદાયક અનુભવ અને તણાવમુક્ત જીવન પ્રદાન કરવાની સાથે તેમના માટે શૈક્ષણિક પણ સાબિત થાય. ‘દીન દયાલ સ્પર્શ યોજના’ જેન આલ્ફા વિદ્યાર્થીઓમાં ફિલેટલીના શોખને પ્રોત્સાહન આપવા સાથે તેમની પ્રતિભાને શિષ્યવૃત્તિ દ્વારા સન્માનિત કરવાનો એક સાર્થક પ્રયાસ છે.
Matribhumi Samachar Gujarati

